18 મીએ લઘુમતિ અધિકાર દિવસે મોરબીમાં જાહેર સભા : UNO ને ભારતે લઘુમતીઓ માટે આપેલ વચનનો ગુજરાત સરકારે ભંગ કર્યો : MCC

666

ભુજ : 18 ડીસેમ્બર અંતરરાષ્ટ્રીય લઘુમતિ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ગુજરાત સરકારને બંધારણ અને ભારત સરકાર દ્વારા સયુંકત રાષ્ટ્ર સંઘને આપેલા વચનને યાદ કરાવવા માટે અને લઘુમતી સમાજને આ મોડેલ રાજ્યમાં ન્યાય પૂરું પાડવા માટે આ વર્ષે 18 ડીસેમ્બરના મોરબી ખાતે લઘુમતિ સમુદાયની વિશાળ જાહેર સભા યોજવામાં આવશે. જેની પૂર્વ તૈયારીના ભાગ રૂપે માઇનોરીટી કો ઓર્ડિનેશન કમિટિ (MCC) દ્વારા મીટીંગ યોજાઇ હતી.

MCCના કન્વીનર મુજાહિદ નફીસે જણાવ્યું કે માઈનોરીટી કો- ઓર્ડીનેશન કમિટી (MCC) પાછલા ઘણા સમયથી રાજ્યમાં લઘુમતી સમુદાયના વિકાસ અને રક્ષણ માટે લઘુમતી કલ્યાણ મંત્રાલય, લઘુમતી આયોગ, બજેટમાં નક્કર જોગવાઈ, લઘુમતી વિસ્તારોમાં ૧૨ ધોરણ સુધીની શાળા જેવી માંગો ઉઠાવી રહી છે. સરકાર ૧૧.૫ % લઘુમતી સમુદાય સાથે સતત અન્યાય કરી રહી છે. ભારત સરકાર દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આપેલા વચનોનો ગુજરાત સરકાર દ્વારા ભંગ કરવામાં આવ્યો છે. તેમજ ભારતના બંધારણમાં લઘુમતી સમાજ માટેની જોગવાઈનો પણ ગુજરાતની સરકાર અમલ નથી કરતી.

ગુજરાતમાં લઘુમતી સમુદાય ડર માં જીવી રહ્યું છે, હવે તો ભેંસ લઇ જતા લોકો પર પણ તથા કથિત ગૌ-રક્ષકો જાનલેવા હુમલાઓ કરી અને ઉઘરાણી કરે છે. આ સરકાર બેટી બચાવો – બેટી પઢાઓનો નારા સાથે ચાલે છે. પણ ગુજરાતમાં મુસ્લિમ સમુદાયની છોકરીઓ ૧-૫ ધોરણમાં ૧૦.૫૮% ડ્રોપ આઉટ થઇ રહી છે, છતાં પણ સરકાર તેની ઉપર કોઈ નક્કર કામગીરી નથી કરી રહી. ગુજરાતમાં લઘુમતી સમાજની ફરીયાદ સંભાળવા માટે કોઈ આયોગ પણ નથી જયારે દેશમાં લઘુમતી આયોગ છે તો ગુજરાતમાં કેમ નહિ ? આ મુદો ગુજરાત સરકાર દ્વારા લઘુમતિઓ સાથે થઇ રહેલ ભેદભાવનો સ્પષ્ટ ઉદાહરણ છે. ગુજરાતમાં લઘુમતી સમુદાયને એ અધિકારો પણ નથી મળી રહ્યા જે બીજા રાજ્યોના લઘુમતિઓને પ્રાપ્ત છે.

આ મુદે માયનોરીટી કો- ઓર્ડીનેશન કમિટી (MCC) દ્વારા સરકાર સમક્ષ મુખ્યત્વે 10 માંગો મુકવામાં આવી છે.

1 – રાજ્યમાં લઘુમતી કલ્યાણ મંત્રાલય (વિભાગ)ની સ્થાપના કરવામાં આવે.

2 – રાજ્યના બજેટમાં લઘુમતી સમુદાયના વિકાસ માટે નક્કર રકમની ફાળવણી કરવામાં આવે.

3 – રાજ્યમાં લઘુમતી આયોગ રચના કરવામાં આવે અને તેને બંધારણીય મજબૂતી માટેનું વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવે.

4 – રાજ્યના લઘુમતી બહુસંખ્યા ધરાવતા વિસ્તારોમાં ધોરણ ૧૨ સુધીની સરકારી શાળાઓ ખોલવામાં આવે.

5 – મદ્રસાના શિક્ષણને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવામાં આવે.

6- લઘુમતી સમુદાયના ઉત્થાન માટે વિશેષ આર્થિક પેકેજ આપવામાં આવે.

7- સાંપ્રદાયિક હિંસાથી વિસ્થાપિત લોકોના પુનર્વસન માટે સરકાર નીતિ બનાવે.

8- પ્રધાનમંત્રીના નવા ૧૫ મુદ્દાના કાર્યક્રમનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવે.

9- લઘુમતી સમુદાય માટે The Minorities (Prevention Of Atrocities) Act બનાવવામાં આવે.

10- મોબ લીંચિંગ જેવી ઘટનાઓ વિરુધ્ધ કડક કાયદો બનાવવામાં આવે.

Get real time updates directly on you device, subscribe now.