કચ્છ બહાર લીગ્નાઇટ ન મોકલવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ : PM જાડેજાની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર
![](https://www.voiceofkutch.com/wp-content/uploads/2019/05/PMJADEJA-750x430.jpg)
ભુજ : કચ્છના સરહદી વિસ્તારમાં આવેલ જી.એમ.ડી.સી. સંચાલીત લીગ્નાઇટની ખાણ બંદ થવા મુદે ફરી એકવાર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટો ફટકો પડવાની ફરિયાદ ઉઠી છે. આ મુદે MLA અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે પશ્ચિમ કચ્છ ટ્રક એસોસિયેશન દ્વારા આજે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે થોડા વર્ષો અગાઉ પાન્ધ્રોમાં આવેલ લીગ્નાઇટની ખાણ આમુક ઉદ્યોગો માટે રીઝર્વ રાખી સરકારે બંદ કરી દીધી હતી. આ મુદે તત્કાલિન નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરાતા માતાનામઢ અને ઉમડસર ખાણ ચાલુ રાખવામાં આવી હતી. જી.એમ.ડી.સી.ના અધિકારીઓએ બેદરકારી અને અણાવડત અથવા ઉદ્યોગપતિઓ સાથે મીલીભગતથી ખાણમાં કોલસો ઓછું હોવાની ખોટી માહિતી સરકારને આપી છે. જેના આધારે આ ખાણોમાંથી સરકારે અમુક ઉદ્યોગો માટે લીગ્નાઇટનો કોટો રીઝર્વ રાખવાનો કારણ બતાડી લીગ્નાઇટ કચ્છ બારે ન મોકલવા નિર્ણય કર્યો છે. જેના કારણે દુષ્કાળ ગ્રસ્ત કચ્છમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પડી ભાંગશે. કારણ કે કચ્છમાં અને ખાસ કરી અબડાસા લખપત વિસ્તારમાં લોકોનું મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. કચ્છમાં દુષ્કાળના કારણે પશુપાલન અને ખેતીને મોટું નુકસાન થયું છે. જેથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કચ્છના લોકો માટે જીવાદોરી સમાન છે. લીગ્નાઇટ કચ્છ બહાર ન મોકલવાના નિર્ણયથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પડી ભાંગશે અને હજારો પરિવારો રોજગાર વિહોણા થશે. માટે નિર્ણય પરત લેવા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આજે કોંગ્રેસી આગેવાનો તથા પશ્ચિમ કચ્છ ટ્રક એસોસિયેશન સાથે આવેદન આપ્યું હતું. યોગ્ય ન થાય તો આ બાબતે જન આંદોલનની ચીમકી પણ ધારાસભ્યએ ઉચ્ચારી હતી. તેમજ પશ્ચિમ કચ્છ ટ્રક એસોસિયેશન દ્વારા પણ કલેકટરને લેખિત રજૂઆત કરાઇ છે જેમાં જણાવ્યું છે કે જી.એમ.ડી.સી સંચાલીત આ ખાણ માંથી દરરોજ 700-800 જેટલી લીગ્નાઇટની ટ્રકો ભરાઇ ગુજરાત બહાર પહોંચાડવામાં આવતી હતી. જેમાં અંદાજે 10000 ટ્રકો એટલે કે 25000 પરિવારને પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે રોજગારી મડી રહી હતી. કોઇ પણ પ્રકારની આગોતરી જાણ કર્યા વગર રીઝર્વ કોટાનો કારણ આપી લેવાયેલ નિર્ણય 25000 પરિવારોની રોજગારી પર તરાપ છે. આમેય કચ્છ જિલ્લો નહિંવત રોજગારી અને દુષ્કાળ ગ્રસ્ત છે. માટે જી.એમ.ડી.સીના આ નિર્ણયને પરત લઈ અને 25000 પરિવારોની રોજગારી પુનઃ સ્થાપના માટે ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ અર્જુનસિંહ જાડેજાએ આવેદનમાં જણાવ્યું હતું.