દરગાહ તોડફોડ પ્રકરણમાં કોંગ્રેસ ઉચ્ચ કક્ષાએ રજૂઆત નહીં કરે તો અબડાસા તાલુકા પંચાયતના સભ્યની રાજીનામું આપવાની ચીમકી
![](https://www.voiceofkutch.com/wp-content/uploads/2017/11/1200px-Flag_of_the_Indian_National_Congress.svg-750x430.png)
અબડાસા : દરગાહ તોડફોડ પ્રકરણે કોંગ્રેસ પક્ષનો સહકાર ન મળવાના કારણે થોડા દિવસ અગાઉ અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ મંધરાએ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું હતું ત્યાર બાદ અને લઘુમતિ હોદેદારોએ રાજીનામાં આપ્યા હતા. ફરી એક વાર આ બાબતે અબડાસા તાલુકા પંચાયતના સભ્ય ગોરડીયા વિશ્રામ બુધા એ આ બાબતે કોંગ્રેસ પક્ષ ઉચ્ચ કક્ષાએ રજૂઆત નહીં કરે તો તાલુકા પંચાયતના સભ્ય પદેથી રાજીનામું આપવાની ચીમકી આપી છે. પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાને સંબોધીને કરેલ રજુઆતમાં વિશ્રામ ગોરડીયાએ જણાવ્યું છે કે અબડાસા તાલુકાનો લઘુમતિ સમાજ કોંગ્રેસ સાથે સંકળાયેલ છે.
અને તેની લાગણી દુભાય તેવા કુકર્મો કરનારા ન પકડાય અને કોંગ્રેસ પાર્ટી વિધાનસભામાં અવાજ ન ઉપાડે તે ગંભીર બાબત છે. 2012 થી 2017 સુધી ત્રણ ચૂંટણીઓમાં પ્રજાએ અબડાસામાંથી કોંગ્રેસના ધારાસભ્યને ચુંટેલ છે. જો આ બાબતે પાર્ટી ગંભીર નહીં થાય તો આવનારા સમયમાં અબડાસાની પ્રજાનો વિશ્વાસ કોંગ્રેસ પરથી ઉઠી જશે અને કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો પર તેની ખોટી અસર પડશે જેની જવાબદારી પક્ષના મોવડીઓની રહેશે જેથી તાત્કાલિક કોંગ્રેસ પાર્ટીએ આ મુદે યોગ્ય કરે નહીંતર હું તાલુકા પંચાયતના સભ્ય પદેથી રાજીનામું ધરી દઈશ તેવુ વિશ્રામ ગોરડીયાએ જણાવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તેમજ વિધાનસભાના વિપક્ષી નેતા અને જીલ્લા પ્રમુખને પણ આ પત્રથી જાણ કરાઇ છે.