ભુજના ઢોરી ગામ સહિત તાલુકાના અન્ય કામોમાં ગેરરીતિ આચરનાર કચ્છ પંચાયત બાંધકામના ભ્રષ્ટ બાબુઓ વિરુદ્ધ લાંચ રૂશ્વત અને વીજીલન્સમાં ફરિયાદ
![](https://www.voiceofkutch.com/wp-content/uploads/2021/01/1610516309145.jpg)
ભુજ : તાલુકાના ઢોરી ગામે કચ્છ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા થઇ રહેલ રોડના કામોમાં મોટાપાયે ગેરરીતી અને હલકી ગુણવત્તા કામ ઉપરાંત ભુજ પેટા વિભાગ હસ્તકના અન્ય રોડના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર ગેરરીતી,નબળા અને હલકી ગુણવતાવાળા કામો કરી લાખો રુપિયાની ખાયકી કરનાર કચ્છ જિલ્લા પંચાયત બાંધકામ શાખાના કાર્યપાલક ઈજનેર સોલંકી,ભુજ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર બી.ડી.પ્રજાપતિ,ઢોરી કામના એસ.ઓ.મેહુલ ચૌધરી સદર કામ કરનાર મુળ એજન્સી તથા માટી કામમાં મોટા પાયે ગેરરીતિ આચરનાર ઠેકેદારો વિરૂદ્ધ જાણીતા એડવોકેટ અને ઢોરી ગામના રહેવાસી ધનજી મેરીયા દ્વારા રાજ્ય સરકારના પંચાયત વિભાગના સચિવ,રાજય પંચાયત વિભાગના મુખ્ય ઇજનેર,લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો,રાજયના વિજીલન્સ વિભાગમાં ફરિયાદ કરેલ છે.
એડવોકેટ ધનજી મેરિયા દ્રારા ભ્રષ્ટાચાર સબબની ઉચ્ચ કક્ષાએ આધાર પુરાવા સાથે કરેલી સનસનીખેજ ફરિયાદમાં કચ્છ જિલ્લા પંચાયત બાંધકામ વિભાગ દ્નારા ભુજ તાલુકાના ઢોરી ગામે ઢોરીગામથી કાઢવાડા ખેતરોને જોડતા રોડ અને ભુજ ઢોરી રોડથી આહિર સમાજવાડીને જોડતા એપ્રોચ રોડનું કામ થઇ રહ્યુ છે. આ બને કામ અલગ અલગ ૫૦ લાખના મળીને એક કરોડ રૂપિયાના ખર્ચ બની રહ્યા છે પરંતુ સ્થાનિક કોઈ પણ જાતની ગુણવતા જળવાઈ નથી મુળ ટેન્ડર કિંમત કરતા અડધા ખર્ચે આ રોડ બનાવી બાકીની રકમ ઇજનેરો સ્થાનિક કામની દેખરેખ રાખતા એસસો ચોધરી સહિતના ભાગ બટાઇ કરી કૌભાંડ આચરેલ છે. આ રસ્તાનુ કામ આહીર પટ્ટી વિસ્તારના અને ભુજના ધારાસભ્યના નજીકના એક ઠેકેદારે આદીપુરના સોરઠીયા નામના ઠેકેદારના નામે ટેન્ડરમાં પેટા ઠેકેદારો તરીકે માટી કામ અને ડામર કામ મેળવી મોટાપાયે ગેરરીતી આચરેલ છે. આ રસ્તાના પેટા કામના ઠેકેદારે જિલ્લા પંચાયત બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેર સોલંકી, નાયબ કાર્યપાલક ઇજનેર ભુજ પેટા વિભાગ બી.ડી. પ્રજાપતિ અને ઢોરી કામના એસઓ મેહૂલ ચૌધરી સાથે મિલી ભગત રચી લાખો રૂપિયાની ગેરરીતી આચરેલ હોવાનો પત્રમાં આક્ષેપ કરવામાં આવેલ છે.
ઉપરાંત ભૂજ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર બી ડી પ્રજાપતિના વડપણ હેઠળ બનેલા અન્ય કામો ભુજ તાલુકાના ખત્રી તળાવથી નારાણપર રોડમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે. અન્ય કુકમા-ચકાર કોટડા રોડના કિસ્સામાં ગેરરીતિ સબબ એસસોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ આ કામમાં પણ ભુજ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પ્રજાપતિએ જ ગેરરીતી અને ભ્રષ્ટાચાર આચરેલ હોઈ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવા પણ માંગ કરાઇ છે. કચ્છમાં સ્ટેટ અને પંચાયત બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર સોલંકી પોતાની બદલી ન થાય તે માટે ઉપર લેવલે વહીવટ કરી એક જ જગ્યા પર ચીપકી બેઠા હોવાના પણ આક્ષેપ થયા છે. ઉપરાંત આહીર પટ્ટી વિસ્તારના ઠેકેદાર દ્રારા રાજકીય વગ વાપરી મનરેગા યોજનાના કામો મેળવી એ માટીના કામ મેળવી ગેરરીતી આચરેલ છે એની પણ પત્રમાં તપાસ માંગવામાં આવેલ છે.
એડવોકેટો મેરીયાએ પત્રમાં જણાવ્યુ છે મારી આ ફરિયાદમાં યોગ્ય તપાસ નહીં થાય અને ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી નહી કરવામાં આવે તો આ સમગ્ર પ્રકરણ નામદાર કોર્ટ સમક્ષ લઇ જવામાં આવશે. સરકારશ્રીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ સમગ્ર પ્રકરણે, તટસ્થ તપાસ થશે તો,રસ્તાના કામોમાં ગેરરીતિ આચરનાર ભ્રષ્ટ બાબુઓ અને ઠેકેદારોના પગ નીચે રેલો આવે તેવી પુરે પુરી શક્યતા છે.