‘મોબ લિંચિંગ’ ના વિરોધમાં ભુજમાં બહુજનો દ્વારા રેલી યોજી આવેદનપત્ર અપાયું
![](https://www.voiceofkutch.com/wp-content/uploads/2019/07/IMG-20190705-WA0034-750x430.jpg)
ભુજ : ઝારખંડમાં તબરેઝ અંસારી નામના યુવકની ભીડ દ્વારા હત્યા કરવામાં આવી. આ મુદે સમગ્ર દેશ સાથે કચ્છમાં પણ અનેક વિરોધ પ્રદર્શન થયા છે. આ મુદે થોડા દિવસો પહેલા ભીમ આર્મી એ આવેદનપત્ર આપ્યું હતું . તો આજે બહુજન ક્રાંતિ મોરચા દ્વારા રેલી યોજી અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ રેલીમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા. તેમજ મુસ્લિમ સંસ્થા ઇતેહાદુલ મુસ્લિમીને પણ આ મુદે આવેદનપત્ર આપ્યું હતું.
બહુજન ક્રાંતિ મોરચાએ આપેલ આવેદનમાં જણાવ્યું હતું કે 4 વર્ષ માં 266 મોબ લીંચીંગની ઘટનાઓ બની છે. જેમાં ઝારખંડમાં જ 18 ઘટનાઓ બની છે. આવી ઘટનાઓ માનવતાને શર્મસાર કરતી ઘટનાઓ છે. આ ઘટનાઓ રાજકીય ષડયંત્રનો એક ભાગ છે. જેમા તાજેતરમાં 17 જુનના તબરેઝ અન્સારી નામના મુસ્લિમ યુવકની ભાજપ સમર્થિત લોકોએ હત્યા કરી નાખી. આવી અનેક ઘટનાઓને રોકવા માટે કાયદો બનાવવો જોઈએ. તેમજ અલ્પસંખ્યક વર્ગોની રક્ષા કરતું કાનુન પણ બનાવવું જોઈએ તેવી માંગ કરી હતી. આ ઘટનાના ભોગ બનનાર તબરેઝ અન્સારીની પત્નીને સરકારી નોકરીઅને તેમના પરિવારને એક કરોડ રૂપિયા સહાય આપવા બહુજન ક્રાંતિ મોરચાના કચ્છના સંયોજક હીરજી સીજુએ કરી છે. આ રેલી સાથે ઇતેહાદુલ મુસ્લિમીને હિન્દના જુમા રાયમા, મામદ આગરીયા, શાહનવાઝ શેખ અને ખત્રી હાજી અબ્દ્રેમાન વગેરે મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા અને તેઓએ ઝારખંડમાં ધાર્મિક ઘૃણાથી હિંસક ભીડ દ્વારા તબરેઝ અન્સારીની હત્યા સહિતની અનેક અલ્પસંખ્યકો, દલિતો પર થઈ રહેલ હિંસક હૂમલાઓ રોકી ગુનેગારોને સખત સજા આપવા રજૂઆત કરી હતી.