નખત્રાણાના તલવાંઢમાં દશ દિવસ થી પાણીની તંગી : 500 જેટલા પશુઓની હાલત દયનીય

232

નખત્રાણા : તાલુકાના તલવાંઢ ગામે છેલ્લા દશ દિવસથી પાણીની તંગી સર્જાઈ હોવા બાબતે તલવાંઢના અબ્બાસ જતે નાયબ કલેકટર નખત્રાણાને રજૂઆત કરી છે. રજુઆતમાં જણાવ્યું છે કે તલવાંઢ ગામે છેલ્લા દશ દિવસથી પાણીની ખુબજ તંગી સર્જાવાથી ગ્રામજનો તેમજ પશુઓ હાલાકી ભોગવી રહ્યા છે. નખત્રાણા પાણી પૂરવઠા અધિકારીઓને અનેક વાર રજૂઆત કરવા છતાંય કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તેમજ ટેન્કર દ્વારા પાણી આપવાની વ્યવસ્થા પણ કરાતી નથી.

અને આ બાબતે રજુઆત કરતા ઉડાઉ જવાબો આપવામાં આવે છે. પાણીની તંગી જેવી વિકટ પરિસ્થિતિને અધિકારીઓ ગંભીરતાથી લેતા નથી તેમજ આ ગામમાં 500 જેટલા પશુઓને છેલ્લા દશ દિવસથી પાણી ન મળતા હાલત દયનીય થઈ ગઈ છે. માટે આ પાણીની સમસ્યાનું તાત્કાલિક સમાધાન લાવી તલવાંઢમાં પાણી પૂરવઠો પહોંચાડવા નખત્રાણા નાયબ કલેકટર પાસે રજૂઆત કરાઇ છે.